Logo

Adani @ Rath Yatra

All Stories

પુરીની યાત્રા મહાપ્રસાદ વિના અધૂરી, સ્વયં લક્ષ્મીજી બનાવે અલૌકિક વાનગીઓ

પૂર્વભારતમાં સ્થિત પુરીમાં ભગવાન શ્રી જગન્નાથ મંદિરના દિવ્ય રસોડામાં રાંધવામાં આવતો મહાપ્રસાદ એ સૌથી રસપ્રદ બાબતોમાંની એક છે. શ્રી જગન્નાથપુરી મંદિર સિવાય દુનિયામાં ક્યાંય ભગવાનને ધરાવવામાં આવતા ભોજનને આ મહાપ્રસાદ સમાન દરજ્જો અપાતો નથી. મંદિરની યાત્રા મહાપ્રસાદ વિના અધૂરી છે. ભગવાનની પૂજા કર્યા બાદ મહાપ્રસાદ ગ્રહણ કરવો એ દૈવી આશીર્વાદ માનવામાં આવે છે જેનાથી મુક્તિના દ્વાર ખૂલી જાય છે.

મંદિરના જે પવિત્ર રસોડામાં ભોજન તૈયાર કરવામાં આવે છે તેમાં દરરોજ 1 લાખથી વધુ દર્શનાર્થીઓને ભોજન કરાવવાની વિશાળ ક્ષમતા હોય છે. તે જથ્થામાં નહીં પરંતુ મંદિરની અંદર રાંધેલા ખોરાકની ગુણવત્તા અને વિવિધતામાં છે. આ રસોડું અવિશ્વસનીય છે. 56 પ્રકારના ભોગ ભગવાનને સીધા અર્પણ કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને ભોજનનો બીજો ભાગ અલગથી તૈયાર કરવામાં આવે છે. ભગવાનને અર્પણ કર્યા પછી તે શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવે છે.

પૂરીના રસોડાને વિશ્વનું સૌથી મોટું રસોડું માનવામાં આવે છે. ભગવાન જગન્નાથનું વિશ્વ વિખ્યાત મંદિર સૌથી પવિત્ર છે કારણ કે તે ભગવાન વિષ્ણુનું અતિપ્રિય નિવાસસ્થાન છે. માન્યતા છે કે, રામેશ્વરમાં ભગવાન સ્નાન કરે છે, બદ્રીનાથમાં ધ્યાન કરે છે, પુરીમાં ભોજન કરે છે અને દ્વારિકામાં નિવૃત્ત થાય છે. તેથી, પુરીમાં મહાપ્રસાદને વધુ મહત્વ આપવામાં આવે છે.

સ્કંદપુરાણમાં જગન્નાથ મહાપ્રસાદને સર્વપાપનાશક ગણાવ્યો છે. ભગવાન અને તેમના મહાપ્રસાદ વચ્ચે કોઈ ભેદ નથી. ૧૨મી સદીમાં બનેલુ હાલનું જગન્નાથ મંદિર સફેદ પેગોડા તરીકે ઓળખાય છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા મુખ્ય દેવતાઓ ત્રિમૂર્તિ તરીકે ઓળખાય છે, જેમને દિવ્ય રસોડામાં રાંધેલો મહાપ્રસાદ સવારથી મધ્યરાત્રિ સુધી વવિધ અંતરાલોમાં ચઢાવવામાં આવે છે.

મહાપ્રસાદનું વિશેષ મહત્વ કેમ?
ભગવાન શ્રી જગન્નાથને અર્પણ કરવામાં આવતા પવિત્ર ભોજનને મહાપ્રસાદ કહેવામાં આવે છે. મહાપ્રસાદ ગ્રહણ કરવો એ ભગવાનના સાક્ષાત દર્શન કરવા સમાન છે. મહાપ્રસાદ એટલો પવિત્ર છે કે જાતિ, સંપ્રદાય અને લિંગભેદ વિના સૌ કોઈ એક જ વાસણમાં ભેગા થઈને ખાઈ શકે છે. માન્યતા છે કે દેવી મહાલક્ષ્મી પોતે વિવિધ વેશ ધારણ કરી ભગવાન જગન્નાથ માટે રસોઈ બનાવે છે.

મહાપ્રસાદની ખાસિયતો:
• પુરીના રસોડામાં અગ્નિથી વિષ્ણુની સેવા થાય છે, તેથી તેને ક્યારેય બુઝાવવામાં આવતી નથી.
• માન્યતા છે કે, જો કોઈ ભગવાન જગન્નાથનો પ્રસાદ લે છે તેનો પુનર્જન્મ થતો નથી.
• આજે પણ મહાપ્રસાદનો સ્વાદ બહારથી ફરી ક્યારેય મેળવી શકાતો નથી.
• મહાપ્રસાદ રસોડાથી મંદિરમાં લઈ જવામાં આવે છે ત્યારે તેમાં કોઈ સુગંધ હોતી નથી, પરંતુ ભગવાનને ચઢાવ્યા બાદ તેમાં દૈવી સુગંધ હોય છે.
• જીવનના તમામ મુખ્ય પ્રસંગોમાં મહાપ્રસાદ લેવામાં આવે છે. એટલું જ નહીં, મૃત્યુ સમયે અને મરણોપરાંત પણ મહાપ્રસાદ લેવામાં આવે છે.

ત્રણ પ્રકારના મહાપ્રસાદ
1. સાંખુડી મહાપ્રસાદ જેમાં ભાત, ઘી ભાત, મિશ્ર ભાત અને દાળ જેવી વાનગીઓ, શાકભાજી સાથે મિશ્રિત સાદી દાળ, વિવિધ પ્રકારના પાંદડાવાળા શાકભાજીના દલીયાની મિશ્ર કરી વગેરેનો સમાવેશ થાય છે.
2. સુખુલી મહાપ્રસાદ જેમાં સૂકી મીઠાઈ અને ખાજા, ગાજા, લાડુ, ખાંડ અને ઘી, કાંતી, ચોખાનો લોટ અને ઘી વગેરેનો સમાવેશ થાય છે.
3. નિર્માલ્ય:- નિર્માલ્યને સામાન્ય રીતે સૂકા ચોખા એટલે કે રાંધેલા ચોખા તરીકે સમજવામાં આવે છે. શ્રીમંદિરાના રસોડામાં ચાર પ્રકારની રસોઈ બનાવવામાં આવે છે. તે ભીમાપક, નાલપક, સૌરિપક અને ગૌરીપક છે.

All Stories